તા.૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૫નાં રોજ સોમવારથી પિતૃપક્ષનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વિશેષ વાત એ છે કે શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થવાની છે, એટલે કે સર્વપિતૃ અમાસ તા.૧૨મી ઓક્ટોબરનાં રોજ આવશે. જ્યારે તા.૬ ઓક્ટોબરના રોજ અવિધવા નવમી છે એટલે કે નોમનું શ્રાદ્ધ છે.
"દિલીપભાઈ ત્રિવેદી" અે જણાવ્યું કે સદ્ગત પિતૃઓને ઉદ્દેશીને શાસ્ત્રોક્ત કાલ એવં સ્થાનમાં શ્રદ્ધા અને વિધિપૂર્વક જે કંઇ પિણ્ડદાનાદિ ક્રિયા કરવામાં આવે છે; સુપાત્રને-બ્રાહ્મણોને જે કંઇ પક્વાન્ન (રાંધેલુ અન્ન), આમાન્ન (કાચુ સીધુ) કે સુવર્ણ આદિ દાન કરવામાં આવે છે, તેને 'શ્રાદ્ધ' કહે છે. શ્રાદ્ધથી પરલોકમાં પિતૃઓની અક્ષયતૃપ્તિ થાય છે; પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. કરેલું 'શ્રાદ્ધ'; માનવ, પશુ, વનસ્પતિ આદિ સમસ્ત પ્રાણિઓને સંતૃપ્ત કરે છે તથા પિતૃઓ શ્રાદ્ધકર્તાને દીર્ઘ આયુ, સંતતિ, ધન, વિદ્યા, રાજ્ય, સુખ, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.
તેમણે કહ્યું કે ભાદ્રપદ માસ(ભાદરવા મહિના)નો કૃષ્ણપક્ષએ 'શ્રાદ્ધપક્ષ' કહેવાય છે. સ્નાન, દાન, જપ વગેરેમાં સૂર્યોદય વખતે હોય તેવી 'સકલા' તિથિ ગ્રહણ થાય છે; પરંતુ મરણ અને વ્રતનાં પારણમાં તાત્કાલિક તિથિ ગ્રાહ્ય છે. યથા સૂર્યોદય વખતે ચતુર્થી હોય અને બપોર પછી પંચમી તિથિ બેસે; પછી કોઇનું મરણ થાય તો તેને પંચમીનું મરણ કહેવાય. પિણ્ડપિતૃયાગ; એ શ્રૌત અને તેનાથી ભિન્ન સ્માર્ત એમ બે પ્રકારનાં તથા નિત્ય, નૈમિત્તિક, કામ્ય આદિ ૧૨ પ્રકારનાં 'શ્રાદ્ધ' હોય છે. શાસ્ત્રમાં 'શ્રાદ્ધ' કરવા માટે ઉપયુક્ત એવા અમાસ, સંક્રાંતિ, મહાલયાદિ ૯૬ તથા અન્ય પણ કાલ કહ્યા છે.